સંશોધન એ સમષ્ટિના પરિવર્તન અને સુધારણાનું પથદર્શક છે,... પ્રત્યેક ક્ષેત્રની પ્રગતિના પાયામાં જો કોઈ બીજ છુપાયું હોય તો તે સંશોધન છે,... સંશોધન શૂન્યાવકાશમાં થતું નથી પરંતુ આકાશમાં રચાતા મેઘધનુષના સપ્તરંગી મિશ્રણની માફક કલ્પનાઓ,... સંકલ્પનાઓ,... વિચારણાઓ અને સિધ્ધાંતોના સહારે ક્રમશઃ આગળ ધપે છે. મનને ઝંકૃત કરતી સર્જન,... નવસર્જનની,... આહ્લાદકતાના અનુભવ અર્થે માનવી જ્યારે કોઈ કાર્ય કરે છે ત્યારે તેમાં સમષ્ટિ કાર્યશીલ થાય છે. શિક્ષણના માધ્યમથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસની સાથે જ રાષ્ટ્રના સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું યથાયોગ્ય જતન પણ થાય છે. નવી પેઢીમાં પોતાની સંસ્કૃતિ પરત્વે આસ્થા અને નિષ્ઠાના પ્રગટીકરણ સાથે વિકાસયાત્રાને આગળ ધપાવવી હોય તો શિક્ષણનો આધાર સંસ્કૃતિ બનવી જોઈએ. શિક્ષણ અને સંસ્કૃતિ એ સિક્કાની બે બાજુઓ છે. જે રીતે વ્યક્તિની સમૃધ્ધિનો આધાર સંપત્તિ ગણાય છે. તેમ સંસ્કૃતિની સમૃધ્ધિનો આધાર શિક્ષણ છે. શિક્ષણ સ્વયં એક સંસ્કારપ્રક્રિયા છે જે માનવીની સર્જનશક્તિ, ભાવાત્મક એકતા, અખંડિતતા, સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિ જેવા અનેક પરિબળોને આવરી લઈ સુસંવાદિત માનવ ગરિમાના વાહકોનું ઘડતર કરે છે. આધુનિક શિક્ષણ પ્રણાલીમાં સંસ્કારસિંચનની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે, પરિણામે માર્ગ ભૂલેલી શિક્ષણયાત્રાને પુનઃ તેના મૂળ પથ પર લાવવા માટે શિક્ષણના આધાર તરીકે સંસ્કાર સિધ્ધાંતને લાગુ પાડવો તે વર્તમાન સમયની આવશ્યક્તા છે. શિક્ષણનો હેતુ માત્ર જ્ઞાનોપાર્જન અને બુધ્ધિના વિકાસ પૂરતો જ સીમિત બનાવી શકાય નહીં, પરંતુ બાળકોના નૈતિક ચારિત્ર્ય ઘડતર અને સાંસ્કૃતિક વ્યક્તિત્વના નિર્માણની પ્રક્રિયાને પણ શિક્ષણ વ્યવસ્થામાં જોતરવી રહી. વ્યક્તિત્વના સર્વાંગીણ વિકાસની ઝંખનાને પરિપૂર્ણ કરવા માટે સમાજ અને વિદ્યાલયોમાં વ્યક્તિગત,... સામાજિક,... સાંસ્કૃતિક,... આર્થિક,... રાષ્ટ્રીય,... નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યલક્ષી સંસ્કારોના વૈભવને વધારવા અર્થે ભારતીય દર્શનના પાયાના સિધ્ધાંતોના સમન્વય સાથે શિક્ષણયાત્રાનો શુભારંભ થવો જોઈએ